Saturday, April 9, 2011

ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર….

છેલ્લા ૩-૪ દિવસથી અભુતપુર્વ લોક જુવાળ ફાટી નિકળ્યો છે. ક્રિકેટ વિશ્વ-વિજેતાનો હજી તો નશો ઉતર્યો ના હતો ત્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની લડાઈ શરૂ થઈ ગઈ. હું નિરાશાવાદી તો નથી જ પણ એક વાસ્તવવાદી તરીકે એટલી તો મને ખબર જ છે કે આનો ક્યાં અંત આવવાનો છે. કદાચ ક્રાન્તિની શરૂવાત હોય અને યોગ્ય ઇંધણ મળતુ રહે તો વાત જુદી છે બાકી તમે જ્યારે આ વાંચતા હશો અથવા તો વાંચી ને વિચારતા હશો ત્યારે જ કદાચ સરકારે એકાદ કમીટી જાહેર કરી દીધી હશે. અહિંસક ભારતની આ જ તો ખાસીયત છે બધી અહિંસક જ ચળવડ આવી જ અહિંસક રીતે કચડી નાખવામાં આવે છે. સામાન્યજનને સીધી રીતે સ્પર્ષતા પ્રશ્નો માટે જ્યારે આ રીતે સ્વેચ્છીક આંદોલનમાં પલટાવા જઈ રહ્યા હોય ત્યારે તેને ઠંડુ કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. ભુતકાળમાં આવુ ઘણી વખત થયેલુ છે પણ કદાચ આ વખતે પરિણામ કાઇક જુદુ આવશે.. કાશ…..

છેલ્લા ચાર દિવસથી T.V. નેટ SMS દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વિરોધમાં એક સ્વયંભુ પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર ના કરવો જોઇએ અને થવા ના દેવો જોઇએ તેવા કેટલાય SMS અને FB સ્ટેટસ અપડેટ વાંચ્યા. મોટી મોટી હસ્તીઓ એ પણ આ વહેતી ગંગામાં હાથ-પગ ધોયા. પણ હજી સુદ્ધા મને કોઈ નક્કર પગલાની અપેક્ષા નથી કારણ કે અમુક મુદ્દાઓ એવા છે કે જેને ક્યાય ધ્યાનમાં લેવાયા નથી. તમે જ્યારે ભ્રષ્ટાચાર જેવા દુષણ થી મુક્તિ મેળવા ઇચ્છતા હોય તો તેની શરૂવાત કા તો પાયે થી કરવી પડે અને કા તો ટોપ લેવલ થી. અત્યારે આપણે ટોપ લેવલથી શરૂવાત કરવા જઈ રહ્યા છીએ જો કે તે સારી વાત છે પણ એક વાત ભુલવી ના જોઇએ કે દેશની પ્રજા ને મહત્તમ રીતે સાકળથી બાબતો ધ્યાન બહાર ના રહી જાય. મારો ચોકીદાર,મેતાજી કે પછી કામવાળી ૧૦૦ % ઇમાનદારી થી કામ કરે તેવું હું ઇચ્છતો હોવ તો મારી ૧૦૦ % સતર્કતા પણ જરૂરી છે. કાયદો બનાવી સજા અપાવવા કરતા ગુનો જ ના હ્તવા દેવો તે ઇચ્છનીય નથી ?

કાલે મને એક SMS આવ્યો કે આજના દીવસે પ્રણ લો કે ના તો ભ્રષ્ટાચાર કરશો ના તો થવા દેશો. સારૂ ચાલો હું ભ્રષ્ટાચાર નહી કરૂ પણ નીચે દર્શાવેલ અમુક સ્થીતીમા શું કરવું ?

ક્યાં દુર કોઈ નજીકના સગા બિમાર છે ત્યાં જવા માટે ટ્રેન એક જ સાધન અવેલેબલ છે અને ટીકીટ નથી મળતી એજેન્ટ કહે છે અમુક રૂપિયા આપો તો સ્પેશીયલ ક્વોટા માથી ટીકીટ કઢાવી આપુ, ત્યારે મારે શું કરવું ?

કોઈ અંગત વ્યક્તિ ખુબ જ બિમાર છે હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં લાંબી લાઇન છે નર્શ-કંપાઉન્ડર ૫૦-૧૦૦ ના બદલામાં ઇમર્જન્સી કેસ કાઢી વહેલો વારો લઈ આપે તેમ છે, ત્યારે શું કરવું ?

છોકરાએ મહેનત કરવા છતા ૧-૨ માર્ક માટે ગમતી લાઇનમાં એડમીશન મળતુ નથી અમુક ડોનેશન આપવાથી તે કામ થઈ જાય છે, ત્યારે શું કરવું ?

વિઝા એપ્લીકેશનમાં બર્થ ડેટ વેરીફીકેશન માટે બર્થ સર્ટી. માગે છે લેટર છેલ્લા જ દીવસોમા આવ્યો એટલે તાત્કાલીક તેની જરૂર છે ક્લર્ક ૧૦૦ મા ઉભાઉભા કાઢી આપવા તૈયાર છે બાકી ત્રણ દીવસ પછી નું કહે છે, ત્યારે શું કરવું ?

વાત હરી-ફરી ને ત્યાં જ આવે છે, “યાર હમારી બાત શુનો…… વો પહેલા પથ્થર મારે જો પાપી ના હો.“ પસંદગી જ્યારે પાપી અને ઓછા પાપી વચ્ચે કરવાની હોય ત્યારે ? બીજુ એની શી ગેરન્ટી છે કે ઓછો પાપી સમય જતા મોટો પાપી નહી બને ? આપણા માથી કોને રૂપિયા દેવા ગમે છે અને રૂપિયા ના આપવાનો બીજો ઓપશન પણ કોની પાસે છે ?? ઘરની બહાર નિકળતા પહેલા ચેક કરવું પડે છે ડ્રાઇવિંગ લાઇસન્સ લીધુ જાણે એક દેશ માથી બીજા દેશમા જતા હોઇએ અને પાસપોર્ટની ચિંતા કેમ ના કરતા હોય. બાઇક કે ગાડીમા બેસતા પહેલા અને તે પણ પેટ્રોલની ચિંતા કરતા પહેલા PUC ની ચિંતા રહે છે. હેલ્મેન્ટ અને સીટબેલ્ટ ખીસ્સાની સેફ્ટી માટે પહેરીયે છીએ . મ્યુનિ. ઓફીસે ટેક્ષ ભરવા જતા પહેલા ૨૫ વ્યક્તિને તેની કોઈ ઓળખાણ મટે પૃચ્છા કરીશુ લાઇન થી બચવા માટે. ટેક્ષ ભરીએ છીએ કારણ કે કાયદાનો ડર છે નહી કે જવાબદારી સમજી ને. બાઇક થી કોઈ ને ઠોકર લાગી તો તરત પોલીસવાળા સાથે “સેટલ” કરી નાખીયે છીએ કારણ કે તારીખ ના ચક્કર મોંઘા પડશે, અરે ગમતી તારીખ માટે જજ સુદ્ધા સાથે સેટીંગ કરવું પડે. IT નો દરોડો પડ્યો “બધુ જ બરોબર હોવા છતા બધુ જ બરોબર નો રિપોર્ટ માટે” નૈવેધ ધરવું પડે કારણ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ ખર્ચો વધ તો જશે. જે ફોર્મ મફત મળવું જોઇએ તેના ૫ રૂપિયા આપીશુ કારણ કે નહીતર ઓફીસમા અડધો દીવસનો પગાર કપાઇ જાશે. આ બધુ જ કર્યે છીએ કારણ કે કરવું પડે છે અને કરતા રહીશું જો કાઇક પરિવર્તન ના આવે . આપણે એવા દેશમાં રહીયે છીએ જ્યાં તમારે તમે હોવાની સાબીતી માટે એક કરતા વધુ પુરાવા આપવા પડે છે અને છતા પણ કરોડો લોકો ગેર-કાયદેસર રહે છે. આપણા દેશમાં ભારતીય બનવું સૌથી સસ્તુ છે મારી સંવેદના -http://marisamvedana.blogspot.com/2009/12/blog-post.html

જ્યાં સુધી વહીવટમાં સરળીકરણ નહી આવે, જ્યાં સુધી ટ્રેન-બસમાં મુસાફરો જેટલી સીટો-બર્થો નહી હોય, જ્યાં સુધી દવાખાનામાં દર્દીઓના અનુપાતમાં ડોક્ટરો નહી હોય ત્યાં સુધી પુર્ણ ભ્રષ્ટાચાર મુક્ત સમાજ વ્યવસ્થા શક્ય નથી જ. જ્યારે જ્યારે વસ્તુ એક હોય અને તેનો ઉપભોગ કરના એક કરતા વધુ ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર થવા નો જ.

આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા દીવાળી ઉપર પેઢી એ બેસતો ત્યારે બોણી લેવા વાળામાં સૌથી વધુ બોણી પોસ્ટમેન અને ટેલીફોન લાઇનમેન રહેતા. પપ્પા કદાચ ત્યારે તેમને બોણી આપતી વખતે મને આપવા કરતા પણ વધુ ખુશી અનુભવતા. કારણ… ધંધાનો સંપુર્ણ આધાર ત્યારે તે બે ખાતા ઉપર રહેતો. ફોન બંધ તો દેશાવર(માંગરોળ થી ૨૬ કીમી દુર કેશોદ પણ દેશાવર કહેવાતુ) ના ભાવ ના મળે ટ્રંકકોલ તાત્કાલીક જોડી આપે તો આપણો તૈયાર માલ વહેલો વેચાય અને નવો માસ લેવાની ખબર પડે તે જ રીતે ટપાલી ૧૨ વાગ્યા પહેલા ટપાલ પહોચાડે તો ડ્રાફ બેન્કમાં જમા થાય અને પૈસા ઉપડે બાકી બીજા દીવસે. આજે ? સૌથી ઓછી બોણી અને કેટલાય તો બોણી લેવા પણ નથી આવતા. ટેલીફોનનું સ્થાન મોબાઇલે અને ડ્રાફ નું સ્થાન Online બેન્કીંગે લઈ લીધુ. આવુજ કાઇક બીજા ક્ષેત્રોમા થાય તો ?

તેમ છતા “દીવાદાંડીનો પ્રકાશ દેખાય છે તો ક્યાં કિનારો તો હશે જ ને”.

-: સિલી પોઇન્ટ :-

“જેને જેને આજનો સિલી પોઇન્ટ જાણવો હોય તે મારા ખાતામાં ૧૦૦ રુપિયા જમા કરાવે તેમને e-maile થી મોકલી દેવા માં આવશે” – મારૂય નામ થવા દ્યો પછી દરેક પોસ્ટની નીચે આવુ લખુ જ કે નહી . :D

1 comment:

  1. એક જગ્યાએ આ વાંચ્યું'તું, "આ લોકપાલ બિલ પાસ કરાવવા કેટલા ખવડાવવા પડે?"

    ReplyDelete