Thursday, October 29, 2009

રેલ્વેના જનરલ ડબ્બાને શું કહેશો ?




હમણા થોડા સમય પહેલાની જ વાત છે, કોઈ પ્રધાને ભારતીય મુસાફરીના એક માધ્યમને "કેટલક્લાસ" કહીને સંબોધ્યું તેમા બહુ ઉહાપો થયો હતો. હું અહી તેના વિષે કોઈ ટીક્કા-ટીપ્પણ કરવા નથી માગતો. અહી ગયા મે-જુનમા જ્યારે ઉત્તર ભારત પ્રવાસે ગયેલો ત્યારે રેલ્વેનો થયેલો અનુભવ અહી લખવા જઈ રહ્યો છું. રેલ્વે એ આમ-આદમીની જીવાદોરી છે ત્યારે તેને તમે શું નામ આપશો ?

જોધપુર(રાજસ્થાન) થી દિલ્હી જતી વખતે સાઈડ અપર બર્થ આવી. ઘણા સમય પછી ટ્રેનમા જતો હતો એટલે પેલી જુની અપર બર્થ મગજમા. બોગીમા ચડતા વેત જ લાલુનું મેનેજમેન્ટ નજર સામે આવ્યું. સાલુ સાઈડ બર્થમા પણ બેની જગ્યાએ ત્રણ બર્થ ઠોકી દીધેલી. ઉપરની બર્થ જોય એક જ વિચાર આવ્યો હું તો જેમ તેમ કરી ઘુસી જાઈસ પણ કોઈ વ્યવસ્થિત તંદુરસ્ત વ્યક્તિનું શું થતુ હશે ?


મને ખુદને ઘુસ્યા પછી કોફીનમા અનંત યાત્રા પર નિકળ્યા હોય તેવો અનુભવ થતો હતો. તેમા પણ સાઈડની ફ્રેમ પગ પણ બહાર કાઢવા દે નહી અને ગરમી કે મારૂ કામ, ઉપર હવા પહોચાડવા પંખો જમીન પર ફીટ કરવો પડે. દિલ્હી પહોચતા સુધીમા તો હાડકાની વ્યવસ્થીત ચંપી થઈ ગઈ હતી. જેલમા પણ કેદીને આનાથી સારી જગ્યા સુવા મળતી હશે .

બીજો પ્રસંગ લખનૌ થી સહારનપુર જતી વખતે થયો. ૧૫ દિવસ થી સતત મુસાફરી અને કામના થાકને હિસાબે એમ હતું કે ૭.૩૦ ની ટ્રેન છે એટલે બેસીને તરત ઉંઘી જ જવું છે. સ્ટેશન પર પહોચીયો ત્યારે ખબર પડી કે ટ્રેન ૩૦ મીનિટ લેઈટ છે. એટલે હળવો નાસ્તો કરી બેન્ચ પર બેઠો હતો. ત્યાં મારા પગ પાસે સળવળાટ થયો, જોયું તો એક મોટો બધ્ધો ઉંદર પગ પાસે બેઠો હતો. આવડો ઉંદર મે ક્યારેય જોયો ના હતો. સસલા જેવડા ઉંદર બીન્દાસ ફરતા હતા. થોડીક વાર થઈ ત્યાં તો લાઈટ જતી રહી. ૩૦ મિનિટ લેઈટ કરતા-કરતા ૬ કલાક ટ્રેન લેઈટ આવી. આ ૬ કલાક જીંદગીના સૌથી વધુ કંટાળા જનક હતા. સખત ગરમીમા ૬ કલાક દરમ્યાન ૧૫-૨૦ વખત લાઈટ ગઈ, ઉંદરોનો ત્રાસ અને થાક બધુ ભેગુ થયુ.

દિલ્હી થી અમદાવાદ આવવાની આશ્રમ એક્સપ્રેસની વેઇટીંગ ટીકીટ હતી. જે દિલ્હી પહોચતા સુધીમા કંફમ ના થઈ. બે જ રસ્તા હતા, હજી એકાદ બે દિવસ રોકાય જાવ જેથી તત્કાલમા ટીકીટ મળી જાય. પણ ૨૧ દિવસ થી ઘર થી દુર રહી એવો કંટાળ્યો હતો કે હવે એક પણ દિવસ કાઢવો મુશ્કેલ હતો. બીજો રસ્તો જે મળે તે સાધનમા અમદાવાદ આવી જાવ. આ તો કાઈ અમદાવાદ-રાજકોટ થોડુ જવાનુ હતુ કે દર બે કલાકે બસ મળે. કુદરતી બધી જ બસો પેક હતી. છેવટે આશ્રમ એક્સ. ના જ જનરલ ડબ્બામા નિકળવાનો નિર્ણય લીધો. સહારનપુર થી દિલ્હી કટોકટ ટાઈમે પહોચ્યો હતો એટલે બેસવાની જગ્યાની તો કોઈ અપેક્ષા જ ના હતી. પણ એવું પણ ધાર્યુ ના હતું કે ઉભવાની પણ જગ્યા નહી મળે. મુંબઈમા લોકલમા ભિડ જોયેલી છે પણ તે થોડીક મીનિટો કે કલાકોની મુસાફરી માટે જ્યારે અહી પુરા ૧૭ કલાકનો પ્રશ્ન હતો. અમે ૮-૧૦ વ્યક્તિઓ ટોઇલેટમા ઉભા રહ્યા કારણ કે બીજે ક્યાંય જગ્યા જ ના હતી. રાત્રે ૯ વાગ્યા હશે ત્યારે જયપુર આવ્યુ, ત્યાથી થોડીક ભિડ ઓછી થઈ અને અમે ટોઇલેટ માથી બહાર દરવાજા પાસેની જગ્યા પર આવ્યા. છેવટે બન્ને ટોઇલેટ વચ્ચેની જગ્યામા અમે ૮ વ્યક્તિ એક-બીજા ઉપર ગોઠવાયને સુતા. સવાર સુધી આ જ સ્થિતીમા હલ્યા-ચલ્યા વગર પડ્યા રહ્યા. સવાર પડી અને ટોઇલેટ યુઝ કરવા વાળાનો ઘસારો ચાલુ થયો એટલે અમારે ના છુટકે દરવાજે લટકવુ પડ્યું. અમદાવાદ ઘરે આવીને કપડા કાઢ્યા ત્યારે રિતસર કપડા માથી ટોઇલેટની વાસ આવતી હતી.

આ તો મારો પહેલો અનુભવ હતો જનરલ ડબ્બાની મુસાફરી કરવાનો અને કદાચ ફરી મોકો મળે પણ નહી. પણ લાખો લોકો રોજ આ રિતે જ મુસાફરી કરતા હોય છે, કોઈ પણ ફરિયાદ વગર અજાણ્યાની મદદ કરતા કરતા થોડીગ ગાળો બોલીને પણ . ૧૫-૨૦ કલાકની મુસાફરી કે જ્યા ક્યારેક ટોઇલેટમા પાણી પણ ના હોય ગંદા હોય વાસ આવતી હોય. તેમ છતા ક્યારેય કહ્યું નથી કે જનરલ ડબ્બો એટલે ઘેટા-બકરાનો ડબ્બો. કદાચ તેમની પાસે બ્લોગ, ઓરકુટ, ફેસબુક કે ટ્વિટર જેવા લાગણીઓ ને વાચા આપતા માધ્યમો નથી હોતા એટલે.


Wednesday, October 28, 2009

"દિવ" - એક અનોખી જગ્યા.

પ્રવાસ વર્ણન મારો શોખ રહ્યો છે. ફરવાનો કંટાળો આવે પણ જે તે જગ્યાએ ગયા પછી તે જગ્યાનું બારીક અવલોકન કરી મહત્તમ આનંદ પ્રાપ્ત કરવો તે આદત બની ગઈ છે. બીજુ જેટલો આનંદ મેળવ્યો હોય તેનાથી અનેક ગણો આનંદ ઉમેરી બીજા સાથે જે-તે પ્રવાસનું વર્ણન કરી વહેચવો તે શોખ બની ગયો છે. લેખન કરતા બોલીને વર્ણન કરવામા મને વધુ મજા આવતી પણ અત્યારે સાંભળનારા ના હોય ત્યારે ભાવનાઓને આ રીતે વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

દિવ બે વખત જવાનો મોકો મળ્યો છે. માંગરોલ થી નહી બહુ દુર-નહી બહું નજીક હોવા છતા દીવનું નામ પડે એટલે ઘરમા સોપો પડી જાય. "દિવ તો કાઈ જવાતું હશે ?" આ એક જ પ્રશ્ન જવાના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દેતો. અખુટ સૌંદર્ય હોવા છતા દારૂને કારણે બદનામ હોવાથી જે મહત્વ મળવું જોઈએ તે મહત્વ અમારા ઘરમા મળતું નથી. બન્ને વખતે સમુહ પ્રવાસમા ગયેલો, પહેલીવાર પ્રાથમીકમા હતો ત્યારે અને બીજી વાર કોલેજ માથી ગયો હતો. ત્રીજી વખત પણ જવાનો મોકો મળેલ પણ અંગત કારણો સર ગયેલો નહી.

એક જ પોસ્ટમા બન્ને પ્રવાસને સમાવવા શક્ય નથી એટલે અહી પહેલા પ્રવાસનું વર્ણન કરીશ. બીજા પ્રવાસ માણવા માટે થોડી રાહ જુઓ.

અજય સ્કુલ-માંગરોલમા હું ધો.૬ માં ભણતો હતો. શિયાળાનો સમય હતો અને એક બે દિવસ એક રાત્રીનો પ્રવાસ ગોઠવવાનો હતો. જવાની ખુબ ઇચ્છા હતી પણ પપ્પાને પુછવું કેમ ? અજયસરને જ કહ્યું કે મારે આવવું છે પણ પપ્પાને પુછવાની હિંમત નથી થતી શક્ય હોય તો તમે પરવાનગી લઈ આપો. અજયસરની ભલામણ કામ કરી ગઈ. મને અને મારી નાની બેન બન્નેને જવાની રજા મળી ગઈ. પ્રવાસ જવાને હજી એક વિકની વાર હતી ત્યાં સુધી હજી એક બસ પુરતા પણ વિદ્યાર્થી થયા ના હતા. હજી ગયા વર્ષે જ એક પ્રવાસ આ જ કારણે રદ્દ થયો હતો એટલે આ વખતે પણ રદ્દ થવાની સંભાવના પુરી હતી. પણ કદાચ આ શાળા જીવનનો છેલ્લો પ્રવાસ હતો માટે અમે જવા માટે મક્કમ હતા. છેલ્લા દિવસોમા પ્રવાસ માટે એવો તો ઉત્સાહ બતાવ્યો કે ૫૬ ની જગ્યાએ ૮૦-૮૫ ની સંખ્યા થઈ ગઈ.

પ્રવાસની આગલી રાત્રીએ મમ્મી આખી રાત જાગી અમારા માતે નાસ્તો બનાવ્યો. સવારે ૬-૬.૩૦ વાગે નિકળવાનું હતુ એટલે વહેલી સવારે પપ્પા મુકવા આવ્યા. પ્રાથના ખંડમા બધા ભેગા થયા અને અમારી ૮-૧૦ જણાની ટોળીને બધી જ વ્યવસ્થા કરવાની જવાબદારી સોપાઈ. પ્રાથના બોલી, સુચનાઓ આપી બસમા બેસવાનું શરૂ કર્યુ. બસ ૩X ૨ અને ૫૬ સિટની હતી જ્યારે બેસવા વાળા અમે ૮૦-૮૫ જણા હતા. ત્રણની સિટમા અમે ૫-૫ ૭-૭ જણા બેસીને બધાનો સમાવેસ એક જ બસમા કરી લીધો. અમારે પહેલા જુનાગઢ જવાનું હતું, ત્યાં નરશી મેહતાનો ચોરો, અશોકનો સિલાલેખ વગેરે જોય ને અમે સક્કરબાગ મા ફર્યા. ત્યાંથી સાંજે નિકળી અમે તુલસીશ્યામ પહોચીયા, ત્યાં રાત્રી રોકાણ કરવાનું હતું. રાત્રે ધર્મશાળામા રોટલા,શાક અને ખિચડી જમ્યા. આવું સાદુ પણ સ્વાદીષ્ટ જમવાનું પહેલી જમ્યો હતો. રાત્રે દર્શન કરી અમારી ટીમે સુવાની વ્યવસ્થા કરવાની હતી. અમને બે મોટા-મોટા રૂમ આપવામા આવ્યા હતા. તેમા લાઈનસર ગાદલા પાથરી બધાને ૧૦ વાગ્યે સુવાનો ઓર્ડર મળી ગયો હતો. સવારે વહેલા દિવ જવાનું હોવાથી વહેલા ઉઠવાની તાકીદ કરી હતી.

પણ તોફાન નસે-નસમા ભરેલુ હોય ત્યારે અને આવો મોકો પાછો ક્યારે મળશે તેમ વિચારીને ધમાલ શરૂ કરી. નીચેરસોડા માથી કોલસા લઈને રાખેલા પહેલા તો તે બધાના મોઢે ચોપડી દીધા. પછી દોરી લઈ બધાના પગ એક બીજા સાથે બાંધ્યા. રાત્રીના ૧ વાગ્યા સુધી અવાજો કર્યા એટલે સર આવીને ધમકાવી ગયા એટલે ચુપ થયા. રાત્રે ૨-૨.૩૦ વાગ્યા હશે ત્યા સર પાછા આવ્યા. અમને ઉંઘ આવતી ના હતી એટલે બીજાને સુવા દઈએ તે આસયની અમને બહાર બોલાવ્યા. અમે આખી ટોળી બહાર ગઈ પછી ખબર પડી કે નિચે સિંહ આવ્યા છે. ફક્ત ૮-૧૦ ફુટ દુરથી સિંહ જોવાનો પહેલો પ્રસંગ હતો. પછી તો અંદર આવીને ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર જ ના પડી. કદાચ સિંહનો પ્રભાવ હશે.

સવાર પડતા જ અમારુ તોફાન પ્રકાશમા આવ્યું. પહેલા તો બધાના પગ બાંધેલા એટલે એક પછી એક ઢગલો થવા મંડ્યા તેમાથી માંડ છુટ્યા ત્યા બધા એક બીજાના મોઢા જોતા-જોતા હસવા મંડ્યા. બધા જ છોકરાઓમા અમારા જ મોઢા કાળા નહી એટલે સરને સમજતા વાર ના લાગી કે આ કારસ્તાન અમારૂ છે. સજા રૂપે સવાર-સવારમા ધર્મશાળા ફરતે ૧૦ રાઉન્ડ અને બધાનો સામાન ઉચકી બસમા ચડાવાનો આવ્યો. ત્યાંથી દિવ જવા રવાના થયા, રસ્તામા ધમાલ બોલાવતા-બોલાવતા અમે દીવ પહોચીયા.

દીવ પહોચતા જ ખબર પડી કે અમારી બસને અંદર જવા દેવામા નહી આવે. અમે ચાલીને દીવ ફરીશું તેવો નિર્ણય લીધો. ૭-૮ કિ.મી. ચાલ્યા પછી અમે દીવના કિલ્લા પાસે પહોચીયા. થાક અને તરસથી હાલત ખરાબ હતી. ત્યારે હજી પાઉચની શોધ થઈ ના હતી અને દીવ દરિયા કિનારે હોવાથી પાણીની બહુ તકલીફ એટલે ક્યાય પિવાનું પાણીના મળે. એક "ચા" વાળાએ અમારી પર દયા ખાય પોતાનું આખા દિવસની ચા બનાવવા માટેનું પાણી અમને પિવડાવી દીધુ બદલામા પૈસા લેવાની પણ ના પાડી. ત્યારે તો અમને તેનામા સાક્ષાત ભગવાન નજરે ચડતા હતા. દિવમા કિલ્લો,ચર્ચ વગેરે જોયા પછી એક લોકલ બસમા અમને પાછા અમારી બસ સુધી પહોચાડવામા આવ્યા. અમારે ઉના પહોચી જમવાનું હતુ. થાક-તરસ અને ભુખ હાલત ખરાબ કરતી હતી પણ પ્રવાસની મજા સામે તે બધુ જ સહ્ય હતું.

બપોરે ૨-૨.૩૦ વાગ્યા આજુબાજુ અમે ઉના પહોચીયા કોઈ અમને ૮૦-૮૫ જણાને જમાડવાની શક્તિ ધવાવતુ ના હતું. એક ધાબાવાળાએ કટકે-કટકે બધાને જમાડવાની તૈયારી દર્શાવી. અમે પહેલા નિચલા ધોરણના એટલે કે અમારી નાના ભાઈ-બહેનોથી જમવાની શરૂવાત કરાવડાવી. કોઈ ફોર્સ નહી સ્વય શિસ્તની અજોડ મિસાલ અમે ત્યારે સ્થાપી. અમારા ગૃપ સૌથી છેલ્લે ૩.૩૦-૪ વાગ્યે જમ્યું. આજે નાનકડી અગવડતા માટે હડતાલ કરતા, તોડફોડ કરતા વિધ્યાર્થીઓને જોવ છુ ત્યારે અમને તે દ્રશ્ય નજર સામે આવી જાય છે. બધી જ અગવડતા વચ્ચે પણ ૨૦૦ % આનંદ પ્રાપ્ત કરવો તે જેવી તેવી વાત ના હતી.

ત્યાંથી અમે સોમનાથ ગયા, દર્શન કરી જમવા જેવો જ નાસ્તો કર્યો. ભગવાનના સાનિધ્યમા કેટલીય વાર સુધી બેઠા, રમતો રમી અને રાત્રે માંગરોલ પરત ફર્યા. આજે પણ અમે જુના મીત્રો આ પ્રવાસની વાતો કર્યે છીએ ત્યારે એક જ વાત આવે છે. આપણે નાના હતા ત્યારે કેવા પ્રેક્ટીકલ હતા નહી, નાની નાની વાતો ને જતી કરવી, ખુશ થવા માટે આપણી જરૂરીયા કેટલી ઓછી હતી. અરે ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ મજા મેળવી લેતા. જતુ કરવાની ભાવના હતી. બીજાને મદદરૂપ થતા, જ્યારે અત્યારે ? જવા દ્યોને યાર બધાને ખબર છે.

હવે પછી માર બીજા દિવ પ્રવાસની મજા લઈશું.

Tuesday, October 27, 2009

બસની મુસાફરી....



માંગરોલ એટલે છેવાડાનું ગામ. બસએ બાકીની દુનિયા સાથે જોડતું એક માત્ર માધ્યમ. તમારે ટ્રેનમા જવું હોય તો પણ બસમા બેસી ૧૬૦-૭૦ કિ.મી.ની મુસાફરી કરી રાજકોટ જવું પડે. હા, કેશોદ થી ત્યારે મીટરગેઇજ અને અત્યારે બ્રોડગેઇજ ટ્રેનની સવલત ખરી પણ અનુકુળ સમય ના હોવાથી બહુ ઓછી વાર બેસવાનું થતું. મને પહેલાથી જ બસની મુસાફરી અનુકુળ આવી ગઈ હતી. જુનાગઢ વાર તહેવાર અને મોટા ભાગે કામથી જવાનું થતું ત્યારે બસ એક માત્ર ચારો હતો. ૧૯૯૬ માં વિ.વિ.નગર ભણવા ગયો ત્યારે તો ઉજ્જડ વનમા એરંડો પ્રધાન તેમ આણંદ થી જુનાગઢની એક માત્ર એસ.ટી. બસ આવતી. રજા પડવાની હોય તેના એક અઠવાડીયા પહેલાથી જ અમારા બસ સ્ટેન્ડના ચક્કર ચાલુ થઈ જતા. નિયમ ૫ દિવસ પહેલાનો હોય અને તે અમને ખબર પણ હોય છતા માસ્તરને માય-બાપ બનાવીને પણ રિઝર્વેશન મેળવવાની કોશિસ કરતા.

ક્યારે રિઝર્વેશન ના મળે તો રાત્રીની તે બસમા વચ્ચે ચાલવાના રસ્તા ઉપર બેગ ઉપર બેઠા-બેઠા અને મોડી રાત્રે ચાદર પાથરી સુતા-સુતા મુસાફરી કરેલ છે. ત્યારે હજી બસના સ્લિપર કોચ શરૂ થયા ના હતા, કદાચ અમારી આ રિતની સુવાની આદત પરથી પ્રેરણા લઈને જ સ્લિપર કોચની શોધ થઈ હોય તો કહેવાય નહી. વચ્ચે સુવામા એવી તો ફાવટ આવી ગઈ હતી કે પછીથી રિઝર્વેશન કરવાની જ આળસ કરી જતો. ક્યારેક તો એટલી ભિડ હોય કે વચ્ચે સામાન રાખવાની પણ જગ્યાના હોય ત્યારે ડ્રાઈવર સાહેબ સાથે સાચી ખોટી ઓળખાણ કાઢી તેની કેબીનમા જગ્યા મેળવી લેતા.

શિયાળો, ઉનાળો કે ચોમાસું બધી જ સિઝનમા મારી કુંડલીમા બસની મુસાફરી યોગ હોય જ. મારા માટે આવતે મહીને તમારો મુસાફરી યોગ છે તેવી ભવિષ્યવાણી ગમે તે જ્યોતિષિ આંખ બંધ કરીને કરી શકે છે. તેમા પણ ૧૯૯૯ થી ૨૦૦૫ સુધી તો દર અઠવાડીયું બસમાં અમદાવાદ આવવાનું થતું. વચ્ચે તો ટ્રકની હડતાલ હતી ત્યારે બસમા સિંગદાણા ભરી અને તેની ઉપર સુતા-સુતા મુસાફરી કરેલ છે. આદત મુજબ દરેક વખતે મારૂ અવલોકન ચાલુ જ રહેતું.

શિયાળો હોય ત્યારે પણ લોકો બારી પાસે બેસવા પડાપડી કરતા કારણ કે સિધા તડકોનો લાભ મળે તે માટે. બપોર ના સમયે બસ કઈ દીશામા જશે તેના પર થી બસની કઈ બાજુ તડકો વધુ આવશે તેની વિપરિત બાજુએ બેસવાની ગણતરી કરતા લોકોને પણ જોયા છે. અરે ઉતરતી-ચડતી વખતે મારા-મારી તો ઘણી વખત જોય છે. બાબો કે બેબી ૩-૫ વર્ષનો છે કે નહી તે માતેની કંડકટર સાથેની જીભા-જોડી તો દરેક વખતે જોવા મળે છે. ત્રણની સિટમા આરામ થી બેસવા માટે "અહી આવે છે પાછળ ખાલી જ છે" તેવા જવાબો સાંભળેલા છે. અરે બે ટીકીટ લીધેલી હોય અને સાથે નાનો બાબો કે બેબી હોય અને ત્રણની સિટ પર કોઈ બેસવા આવે ત્યારે જગ્યા ના કરવી. ખુબ ભિડ હોય ઉભવાની પણ જગ્યા ના હોય ત્યારે કોઈ એકલી સ્ત્રી નાના બાળક સાથે બસમા ચડે તો પણ તેને સિટના આપવી વગેરે બનાવો વખતે ખુબ ગુસ્સો આવતો.

વોલ્વોનું આગમન થયું પછી તેમા ઘણી વાર તેમા બેસવાનું થયુ છે, દરેક વખતે એક વાત કોમન બને છે. બસ ચાલુ થઈ ના હોય ત્યાં સુધી બેઠેલા મુસાફરો સિટ ઉપર આપેલી બધી જ સ્વિચો મચડતા હોય છે. મોટા ભાગે એક પણ સ્વિચ ચાલતી હોતી નથી. બસ ચાલુ થાય અને થોડોક સમય થાય એટલે આ જ લોકો પાછા આ સ્વિચો પાસે કામ લેવાનો નિષ્ફળ પ્રયાસ કરતા નજરે ચડે છે. બન્ને વખતે આસય તદ્દન વિપરિત હોય છે. પહેલી વાર A.C. ની સ્પિડ વધારવા માટે અને બીજી વાર સ્પિડ ઘટાડવા માટેની કસરત હોય છે. છેવટે ઠંડી (અહી A.C.) પોતાની પરાકાષ્ઠાએ પહોચે ત્યારે સહનશક્તિ અને ધીરજ ખુટતા A.C. ના હોલમા રૂમાલ, દુપટ્ટો કે બસનો પડદો ભરાવી દરેક પરિસ્થિતીમા અસ્થાયી માર્ગ કાઢવાની ભારતીય પરંપરા જાળવે છે. ક્યારે આટલુ પુરતુ ના હોય ત્યારે બાહ્ય ગરમીથી રક્ષણ મેળવવા માટેનો પડદો ઓઢી ગરમી મેળવવાનો પ્રયાસ થાય છે.

પુસબેક સિટને હજી આપણો સમાજ સ્વિકારી શક્યો નથી. ઘણા લોકોની જુનાગઢ થી અમદાવાદ સુધીની ૭ કલાકની મુસાફરી સિટ આગળ-પાછળ કરવામા જ પુરી થઈ જાય છે. જુનાગઢ મજેવડી થી સિટ સરખી કરવાની શરૂ કરે અને અમદાવાદ ઇસ્કોન આવે ત્યા સુધી તેનો મેળ ના પડે. અમુક લોકો તો બસમા ખાવા માટે જ મુસાફરી કરતા હોય છે. કોઈ બાવા-સાધુએ જાણે સલાહ આપી ના હોય તેમ આખે રસ્તે મોઢામા ઠુસ-ઠુસ કરતા હોય છે. તેમા પણ નાના બાળકો ખાસ ઘરે મમ્મી જમવાનું ના આપતી હોય તે રીતનું વર્તન કરે છે(મારો જાત અનુભવ). જેટલી જગ્યાએ બસ થોભે તેટલી જગ્યાએ થી કાઈક ને કાઈ લેવું જ જોયે. ઘાટે-ઘાતનું પાણીની જેમ સ્ટેશને સ્ટેશનની વેફર,કુરકુરે અને ચોકલેટ ખાતા-ખાતા અમદાવાદ આવે.

અંતમા પણ પાલડી ઉતરવાનું હોય પરંતુ સરખેજથી ક્લીનરને કહેતા જાય "પાલડી આવે એટલે કેજો" અમુક પતિ-પત્નિ ઇસ્કોન ઉતરવું કે જોધપુર તે મથામણા કરતા હોય છે. "અહી થી રિક્ષા ૧૫ રૂપિયામા મળશે જોધપુર થી ૨૦ લેશે" તે વાતો મા અને સામસામે દલીલો ઇસ્કોનથી બસ ઉપડવાની હોય ત્યારે પાછળથી બસ રોકવા દોડશે અને છેલ્લે ઇસ્કોન અને જોધપુરની વચ્ચે "ન અહી ના કે ન ત્યાંના" તેવી સ્થિતીમા ઉતરશે.

ગમે તેમ તો પણ બસની મુસાફરી એટલે બસની મુસાફરી તેની આગળ પ્લેન પણ પાણી ભરે.

Monday, October 26, 2009

મને એક પિતા તરીકે ગર્વ છે.

મારા અનન્ય મિત્ર અરવિંદભાઈ(AB) અવનવી લીંક મોકલવા માટે બહુ ફેમસ છે. નેટના ભોમીયા અને મારા જેવા સર્ફિંગના આળસુ માટે ઘરબેઠા ગંગા પહોચાડવાનું કામ કરતા આ મીત્ર એ આજે એક મેસેજ મોકલ્યો જે આ પ્રમાણે હતો.

Absolutely amazing...

One day, a son asks his dad "Daddy, would you like to run a marathon with me?"..
The father says "yes". And they run their first marathon together
Another time, the son asks his dad again "Daddy, would you like to run a marathon with me?". The father says "yes son".
One day, the son asks his father "Daddy, would you run the Ironman with me?
The Ironman is the most difficult triathlon ever...
4 kms swimming,
180 kms biking and
42 km running.
And the dad says "yes".
The story looks simple until you watch the following clip.
Just amazing.
Please don't miss..
http://www.youtube.com/watch?v=VJMbk9dtpdY
Regards,
Arvindbhai.

વિડીયો જોયા પછી હું નિ:શબ્દ થઈ ગયો. મને મારા પર એક આદર્શ પિતા હોવાનું જે મિથ્યાભિમાન હતું તે નેસ્ત નાબુદ થઈ ગયું. એક પિતા પોતાના સંતાન માટે શું-શું કરી શકે છે તેનો આ ઉત્તમ નમુનો છે. ઇશ્વર આ પિતા-પુત્રને હંમેશા ખુસ રાખે તેવી પ્રાર્થના સાથે હું વધુ કાઈ લખી શકુ તેમ નથી એટલે અટકુ છું.


આજે કારતક સુદ આઠમ- ગોપાષ્ટમી.


કાલે મિત્રો સાથે બાઈક ઉપર ઝાંઝરી(દહેગામ થી ૩૦-૩૫ કિમી) બાઈક ઉપર ફરવા ગયો હતો. એક જ દિવસમા ૧૭૦-૮૦ કી.મી. બાઈક ચલાવવાનો આ પહેલો જ અનુભવ હતો. ઉપરાંત નાવાનો અને ૩-૪ કી.મી. નદીના પથરાળ રસ્તામા ચાલવાનો ખુબ જ થાક હતો એટલે સવારે ૧૦ વાગે હજી ઉઠીને બ્રસ મોઢામા લીધુ જ હતું ત્યાં મોબાઈલ રણક્યો. સામેથી મમ્મીનો અવાજ હતો, હેપ્પિ બર્થ ડે ટુ યુ. એક મિનિટ તો હું ચોંકી જ ગયો. મિત્ર પ્રબોધનો બર્થ ડે છે અને તેને રાત્રે વિસ કરી લિધુ પણ મારા જન્મદિવસને તો હજી વાર છે. મમ્મી હતા એટલે સામે પુછી પણ લીધુ, મારો જન્મદિવસ ? મને કે હા આજે ગોપાષ્ટમી છે એટલે તારો તિથી પ્રમાણે જન્મદિવસ છે.

આજે પણ મારા ઘરમા તારીખ કરતા તિથીનું મહત્વ વધુ છે. મારો સમય એવો છે કે હું વાર-તારીખ ભુલી જાવ છુ ત્યારે તિથી યાદ રહેવાનો પ્રશ્ન જ નથી. છતા એક વાત ખરી કે મને આપણી વિક્રમ સંવત પર પુર્ણ પંચાગ હોવાથી ગર્વ છે. કદાચ સુર્ય-ચંદ્રની ગતિનો સુમેળ કરી ચાલતુ બીજુ કોઈ પંચાગ મે જોયુ નથી. તેમ છતા
વિશ્વ જ્યાં ચાલે ત્યાં ચાલવું જ રહ્યું.

એક વાત ખરી કે જ્યારે બીજાના બર્થ ડે યાદ રહે અને તમારા બર્થ ડે ભુલી જાવ ત્યારે સમજવું કે કા તો તમે બહુ બીઝી થઈ ગયા છો અથવા તો તમે તમારો વિચાર નથી કરતા. મારી બાબતમા બીજી શક્યતા વધુ પ્રબળ છે. બીજા માટે જગ્યા કરવામા ક્યાંક તમારે ઉભા રહેવું ના પડે તે જો-જો, અત્યારે કદાચ હું તે જ સ્થિતીમા છું. દાન, માફી અને સલાહ હંમેશા પ્રળબની જ શોભે. વિચારવા જેવું છે નહી ?

Friday, October 9, 2009

હું ઇશ્વર નથી.. મને પણ ઇર્ષા થાય છે.

આજે જીવનમા એક એવી જગ્યાએ ઉભો છુ જ્યાંથી પાછળ વળીને જોવ તો કેટલીય મંજીલ કાપી લીધાનો સંતોષ છે. જ્યારે બીજી બાજુ મારી જ સાથે સફરની શરૂવાત કરનાર મારા થી ઘણા આગળ નિકળી ગયા નો અફસોસ છે. હા, મને તેમની ઇર્ષા થાય છે. હું નસીબમા માનું છુ કે નથી માનતો તે ગોણ બાબત છે પણ મને મારામાં રહેલી શક્યતાઓ વિષે પુરેપુરી જાણકારી છે. તેથી પણ વધુ મને મારી મર્યાદાઓ વિષે ખબર છે.

ક્યારેક આપણામા રહેલી શક્યતાઓ પર આપણી મર્યાદા હાવી થઈ જતી હોય છે. જેમ તેંડુલકરમા દરેક ઇંનિગમા સેન્ચુરી કરવાની શક્યતા રહેલી છે પણ ઓફ સાઈડ થી બહાર નિકળતા બોલને સળી કરવાની મર્યાદા જ્યારે તેની શક્યતાઓ થી પ્રબળ હોય ત્યારે તે શુન્યમા આઉટ થઈ જાય છે. અહી મારી જાત ને કોઈ સાથે સરખાવાની કોશીસ નથી કરતો. પણ તેડુલકરની સિદ્ધીની કોઈ ગલીમા રમતા અને દરેક વખતે શક્યતાઓ પર મર્યાદાની વિજય હેઠળ દબાતા ખેલાડીને ઇર્ષા થવી સ્વાભાવિક છે.

મારી સ્થિતી પણ પેલા ખેલાડી જેવી જ છે. હું લખી શકુ છુ, બોલી શકુ છુ, મોટામા મોટો બીઝનેશ એકલા હાથે સંભાળી શકુ છું પણ મારી મર્યાદાઓ, "લાગણીશિલતા, મક્ક્મતાનો અભાવ, આળસ, નિર્ણય શક્તિનો અભાવ" મને આગળ વધતા રોકે છે. વધુ પડતી ઇમાનદારીને પણ આ લીસ્ટમા મુકી શકાય. આજે મે ઘણૂ બધુ મેળવ્યું છે અને તેથી વધુ ઘણૂ બધુ વેડફ્યું છે ત્યારે કોઈ સારા લેખક, કોલમીસ્ટ કે બિઝનેશમેન ને નિર્ણય લેતા, બોલતા કે લખતા જોવ છું ત્યારે અંદર અંદર થી એક સળવળાટ થાય છે. આવુ તો હું પણ બોલી શકુ છુ, લખી શકુ છુ કે નિર્ણયો લઈ શકુ છુ,પણ...

મને ખ્યાલ છે કે દરેક મંઝીલ મળવાની એક યોગ્ય તારીખ હોય છે. ગીતાસાર નાનપણમા વાંચતા, સાંભળતા, "સમયથી પહેલા અને ભાગ્ય થી વધુ કોઈ ને કાઇ મળ્યુ નથી, કર્મ કર ફળની આશા ના રાખ". પણ ફળની આશા વગર કામ કર્વું શક્ય છે ? પગાર જ ના મળતો હોત તો કોઈ જોબ પર જાત ? લેખકને તેના લખાણ બદલ નામ અને દામ ના મળવાના હોય તો તે શું લખવા નો ? બિઝનેશમેન પ્રોફિટ ના થાય તેવો ધંધો શું કામ કરે ? હું પણ ફળની આશા સાથે જ કર્મ કરૂ છું. ભલે ફળ મળવું ના મળવું ઇશ્વર આધીન છે.

ઓર્કુટ પર આવ્યા પછી ઘણૂ મેળવ્યું છે. ઘણા ના સંપર્કમા આવ્યો છું. તેમાથી અમુક તો મહારથી કહી શકાય તેવી વ્યક્તિઓ છે. અમદાવાદમા પૈસાની કિમંત જાણી છે. લોકો કેટલુ કમાય છે અને કેટલુ વાપરે છે તે જાણ્યું. ત્યારથી ઇર્ષા થવા લાગી. હું ઇશ્વર નથી કે મને ઇર્ષા ના થાય... અને હા હું એટલો ખરબ પણ નથી કે લોકો ના સુખે દુ:ખી થાવ. ઇશ્વર સદાય તેમને ખુશ રાખે અને આજે છે તેના કરતા ૧૦૦ ગણી સમૃદ્ધી આપે.

કડકડતી નોટો.... બધાની ચાહત.

કાલે ૮-૧૦ ના રોજ ઓફીસે સવારના વહેલુ જવાનું હતુ. ઓફીસ ખાલી ખમ્મ હતી. હું એકલો માખીઓ મારતો હતો. બપોરે જમીને સાવ નવરો બેઠો હતો. ત્યાં મારા સરના પપ્પા આવીને બોલ્યા, "અલ્યા અહી નવરો બેઠો છે તો જાને RBI મા ૫ અને ૧૦ ની નવી નોટો મળે છે લઈ આવ." આમ પણ કાઈ કામ હતું નહી અને તે બહાને RBI પણ જોવાય જાશે, તેમ વિચારી હું અને મારી ઓફીસના એક ભાઈ ગયા. ત્યાં પહોચી ને જોયું તો એ લાં......બી લાઈન. આમ પણ કાઈ કામ ના હતું એટલે અમે તો ઉભી ગયા લાઈનમા. લાગવગીયા ઘુસ મારવાની કોશીસ કરે અને કોઈ પટ્ટાવાળા કે સિક્યોરીટી વાળાને પટાવાની કોશીસ કરે. કોણ જાણે કેમ કોઈ ને લાઇનમા ઉભવાનો કંટાળો આવતો હશે ? કે પછી લાઈન તોડવાનો એક છુપો આનંદ મળતો હશે ? ભગવાન જાણે. ડંડા ખાધા પછી જ સરખી લાઈન કરવી તે જાણે જન્મજાત આદત હોય છે. આપણા ભારતીયો ના DNA મા કદાચ સારી વ્યવસ્થાને અવ્યવસ્થામા બદલી નાખવાના જીન્સ આઝાદી પહેલાથી વારસાગત મજબુત થતા આવ્યા લાગે છે ?

મહા મુસિબતે અંદર ગયા... ત્યાં વળી બીજી લાઈન હતી. તે લાઈનમા ટોકન લેવાનું હતું. મને ૧૮ નંબરનું અને બીજા ભાઈને ૧૭ નંબરનું ટોકન મળ્યું. અંદર ગયા તો પાછી ત્રીજી લાઈન હતી. અભિમન્યુ ચક્રવ્યુમા નહી મુંજાણો હોય તેટલો હું અંદર જઈને મુંજાણો. ક્યા બારી નંબર ૧૮ તે શોધવા મા જ ૧૦ મીનિટ નિકળી ગઈ. હું ૧૮ અને પેલા ભાઈ ૧૭ નંબરની બારી ની લાઇનમા ઉભા. ત્યાં કોઈ એ ધડાકો કર્યો કે ખાલી ૩,૦૦૦ ની જ નવી નોટ આપે છે અને તે પણ ૧૦ અને ૨૦ ની જ. આ તો જુનાગઢની બસમા ધક્કામુક્કી કરી ને બેઠા અને પછી ખબર પડી કે આ સીટીબસ ખાલી ઇસ્કોન સુધી જ જાય છે તેવું થયું. પેલો ભાઈ મને કહે શું કરીશું હાલો પાછા. મે કહ્યુ ના અહી સુધી આવ્યા છીએ તો નવી નોટ લઈ ને જ જાયે. કાઈ લીધા વગર જાશુ તો પાછા સાભળવાનો વારો આવશે.

અમારે ૮,૦૦૦ ની નવી નોટ લેવાની હતી. મે તેને કહ્યુ તમે ૩,૦૦૦ ની ૧૦ ની લઈ લેજો. મારી આગળ વાળાને ૧૦૦૦ ની જ લેવાની હતી એટલે ૧૦૦૦ તેને આપ્યા. મે ૨૦૦૦ ની ૧૦ની અને ૨૦૦૦ની ૨૦ વાળી નવી નોટ લીધી. મારો તો તરત નંબર આવી ગયો એટલે પેલા ભાઈની રાહ જોતો હું બહાર ઉભો. ત્યાં નવી નોટો લઈને દિગ્વિજય થઈ ને નિકળતા લોકોની મોઢાની ચમક જોવા જેવી હતી. તેમાય અમુક લોકો તેમના સંબંધી ને કહેતા કે મારી ઓળખાણને લીધે જ તમને નવી નોટો મળી બાકી અહી ૧૦-૧૦ ધક્કા ખાવ તો પણ નવી નોટ જોવા ના મળે. એક ભાઈ તો પરચુરણ ઉપાડવા એક હમાલ લઈને આવ્યા હતા. જીવનમા પહેલી વાર કોઈ ને પૈસાનો ભાર લાગતો હોય તેવું જોયું હતું. પેલા હમાલના ચહેરા પર તે પીડા હું જોઈ શકતો હતો. એક ભાઈ કોઈ અંદર નોટ લેવા ગયા હશે તેને મોબાઈલ પર સુચના આપત હતા. કેવી રીતે અને ક્યા-ક્યા કેવી વાત કરવી તે દર બે મીનિટે સમજાવતા હતા. મને થયુ કે આ ભાઈએ વધુ ચલાવ્યુ તો હમણા પેલો બહાર આવી આને કહેશે કે જાવ તમે જ લઈ આવો.

આ દરમ્યાન અમુક લોકો પોતાનો વ્યવસાય કરવા મા વ્યસ્ત હતા. રિક્ષામા ક્યાક થી સ્ત્રીઓ અને પુરૂષો લાવી તેને લાઈનમા ઉભા રાખી ભાડેથી નવી નોટો લેવડાવાતી હતી. આ ધંધાની તો મને ખબર જ નહી. તે તો પાછળ થી ખબર પડી જ્યારે ૫ ની નવી નોટ ના મળી અને પેલા ભાઈએ ત્યાં બહાર ઉભેલા એક વ્યક્તિને ભાવ પુછ્યો અને પેલાએ પેકેટના ૫૦ રૂપિયા કહ્યા ત્યારે. સાલુ આ તો કરવા જેવો ધંધો. સિધા જ ૧૦ % માર્જીન. ઓફીસે આવ્યા તો નસીબમા સાંભળવાનું તો હતું જ. ૫ ની કેમ નવી નોટ ના લાવ્યા ? અત્યાર સુધી શું કર્યુ ? બહાર મળતી હતી અંદર શા માટે ગયા ? વગેરે વગેરે રાબેતા મુજબ. પછી હોશે હોશે તેજુરીમા પૈસા મુકી બધા કામે વળગ્યા.

નિરાતે હું બેઠો હતો ત્યારે એક જ વિચાર આવ્યો. આને ઘેલછા કહેવાય કે ગાંડપણ કે પછી આત્મસંતોસ. બીજા પાસે છે અને મારી પાસે નથી કે મારી પાસે બીજા કરતા પહેલા કોઈ ચીજ આવી ગઈ તેવા અહમ નો સંતોષ કે ભંગ થી ઉત્પન થતી એક વૃતિ ? શું કહેશું આને.

Monday, October 5, 2009

અવલોકન કરવાની ટેવ

હું ત્યારે બીજા કે ત્રીજા ધોરણમા ભણતો હતો. ગુજરાતીમા એક પાઠ આવતો. અવલોકન કરવાની ટેવ. એમા એક શેઠનું હિરા-ઝવેરાત લાદેલું ઊંટ ખોવાય જાય છે. તે રાજાને ફરિયાદ કરે. એક વ્યક્તિ ઊંટને જોયા વગર ઊંટ વિષે માહીતી આપે છે. તે આ બધુ પોતાની અવલોક કરવાની ટેવને લીધે કહે છે. રાજા તેને શાબાશી આપે છે. તેવી વાર્તા હતી. આપણે તો નાના એટલે થયું કે અત્યારથી આ ટેવ વિકસાવ્યે અને મોટા થાશું ત્યારે આવું જ કોઈનું ઊંટ ખોવાશે તો રાજા પાસે શાબાશી મળશે. પણ આ અવલોકન કરવાની ટેવ એટલે શું ? રડવાની ટેવ વિષે ખબર હતી. લેસન ના કરવાની ટેવ, તોફાન કરવાની ટેવ વગેરે તો ખબર હતી. અરે ત્યાં સુધી કે ટેવ શબ્દ સારી વસ્તું માટે પણ ઉપયોગ થાય કે નહી તે જ ખબર ના હતી. સર ને પુછ્યું, ડાકીસર ને મારા પ્રત્યે સ્નેહ ખરો. એ એક માત્ર સર એવા કે જે મને માર્યા વગર સમજાવે. મને કહે અવલોકન કરવાની ટેવ એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને નિરાંતે જીણવટ પુર્વક જોવૂં. તેના વિષે અનુમાનો લગાવવા અને તે સાચા છે કે ખોટા તેની સાબીતી મેળવવી. ત્યારથી કુદરતી રીતે મારામા આ ટેવ(?) આવી ગઈ.

ક્યાય પણ નવરો બેઠો હોવ, બાઈક ઉપર જતો હોવ કે ઓફીસમા કોઈને ટ્રેનિંગ આપતો હોવ, લોકોના હાવભાવ, બોલવાની રીત, કપડા, આજુબાજુનું વાતાવરણ, સજાવટ વગેરે જીણવટથી જોવ છું. આગલા અનુભવ સાથે તેને સરખાવું છુ, અનુમાનો બાંધો છું. કોઈ અંગત હોય તો તેને પુછી પણ લવ કે મે તમારા વિષે આવું અનુમાન બાંધેલુ છે સાચું છે કે ખોટું. ઘણી વાર હું સાચો હોવ છું તો કેટલીય વાર હું ખોટો હોવ છું. આ એક મારો પ્રિય ટાઇમ પાસ છે અને ખાલી આનંદ માટે જ કરૂ છું. તેનાથી ઘણા ફાયદા થાય છે તો ક્યારેક નુંકશાન પણ થાય છે.

યથાર્થનો જન્મ થયો હતો ત્યારે એટલે કે તે ૨ દિવસનો હતો ત્યારે તેને જોવા માટે હું મુંબઈ ગયો હતો. મુંબઈમા જોરદાર પુર આવ્યુ હતું તે પછીનો એ સમય હતો. રોગચાળો ફાટી નિકળ્યો હતો. બધી જ હોસ્પિટલને કેપેસીટી કરતા ૨-૩ ગણા પેશેન્ટ લેવા આદેશ આપવામા આવ્યો હતો. સામેની પથારી પર એક ૮-૯ વર્ષની ઢિંગલી બીમાર હતી. બહુ ડાહી પણ બાટલા અને ઇંજેકશનથી બહું ડરે એટલે ખુબ રડે. અડધો દીવસ મે તેનું અવલોકન કર્યું. સાંજે ૫ વાગ્યા આજુબાજુ તેની સાથે વાતો કરવાનું સરૂ કર્યું. એ તેના વિષે કાઇક બોલે તે પહેલા તો મે તેને તેના શોખના વિષયો ફેવરીટ ટી.વી. પોગ્રામ વગેરે વગેરે વિષે સચોટ જણાવી દીધું. એની મમ્મી મને જોતી રહી. મને કહે તમે ફેસ રિડર છો કે શું ? મારી એક ભાણી તેની જ ઉંમરની છે. અને બન્નેની રીત ભાત સરખી એટલે પેલી છોકરીને ગમતી બાબતો વિષે અનુમાન બાંધી લિધુ.

હું ઘણી બધી વાર ખોટો પણ પડ્યો છું. તેમા પણ આ ઓર્કુટ ઉપર તો ખાસ. કોઈ વિષે અભિપ્રાય બાંધ્યો હોય અને તે તેનાથી સાવ વિપરીત પણ નિકળે છે. અહી મારા ખાસ મિત્રો વિષે જ કહૂ તો, તેજસભાઈ. તેના વિષે પહેલા મને એવું હતું કે તે તો બહુ ઘંમડી અને પોતાને કાઇક ઉંચા જ સમજતા હશે. પણ જ્યારે તેને રૂબરૂ મળ્યો તેની સાથે આખી નવરાત્રી ઉજવી ત્યારે સાચી ખબર પડી.

પણ અવલોકન કરવાની ટેવ થી કલ્પના શક્તિ ખીલે છે અને પુર્વાનુંમાન બાંધતા આવડે છે. પણ એક ખ્યાલ રાખવો પુર્વાનુંમાન પુર્વગ્રહ ના બની જાય.

સાચી જોડણી, ખોટી જોડણી, મારી જોડણી.

લખવાનું ભુત ચડ્યું ના હતૂ ત્યારે પણા મારા અક્ષરો બહું ખરાબ. વ્યાકરણ અને જોડણી તો તેનાથી પણ ખરાબ. કોઈ શબ્દને એક નિયમના બંધનમા બાંધી રાખવો મને જરાય ના ગમે. સ,શ અને ષ વચ્ચે પહેલી જ હું ભેદ રાખવામા માનતો નહી. "ઇ" અને "ઈ" કે પછી "ઉ" અને "ઊ" ને એક જ ગણતો. ક્રિયાપદ અને ક્રિયાવિષેસણ શું ? કઈ જગ્યાએ કોનો ઉપયોગ થાય તે જ ખબર ના હોય ત્યારે વ્યાકરણના બિજા નિયમોની તો વાત જ ક્યાં કરવી. હા છઠ્ઠી વિભક્તિની ખબર હતી, "નો,ની,નું,ના" ઘરમા તેનો ઉપયોગ કરવાની મનાઈ હતી.

હાઈસ્કુલમા આવ્યો પછી વ્યાકરણ અને તેના ઉપયોગની ખબર પડી. પણ તેમા પણ ક્યારેક સવાલો જાગતા.. દરખવતે પહેલોપુરૂષ અને બીજો પુરૂષ કે ત્રીજો પુરૂષ જ કેમ આવતો ? કદાચ આજ તો પુરૂષપ્રધાન સમાજની નિશાની હશે. ગુજરાતીનું વ્યાકરણ અંગ્રેજીના વ્યાકરણ ઉપરથી શિખ્યો. એકવચન-બહુવચન લખતા,બોલતા, વાંચતા આવડતું પણ ખબર ના પડતી. એમ તો સંસ્કૃતમા દ્વિવચન પણ આવતું. ગુજરાતી કરતા મારૂ અંગ્રેજી અને સંસ્કૃતનું વ્યાકરણ સારૂ હતું. અંગ્રેજીમા તો ગ્રામર ના માર્ક ઉપર તો પાસ થતો.

પરંતુ જેમ બીજુ બધુ એક બાજુ સ્પેલીંગ વગર ના ચાલે તેમ ગુજરાતીની જોડણી બહું ખરાબ. અને તેનો અનુભવ ઓર્કુટ પર આવ્યા પછી થયો. મારી ટેગ લાઈન "નસીબ સામે બાથ ભિડતો"મા નસીબની જોડણી ખોટી હતી. મારો પ્રીય મીત્ર રવિન આ વાત જાણે. પણ મને કહી ના શકે. એક દીવસ તેણે મારી સામે વાત મુકી. મે સહર્ષ વાત સ્વિકારી અને પ્રોમીસ લીધુ કે મારી જ્યાં જ્યાં જોડણી ખોટી હોય ત્યાં તારે ટપારવો મને.

વચ્ચે મે ઉંજા જોડણી વિષે વાચ્યું અને સાંભળ્યું હતું. ત્યારે વિચાર આવ્યો કે આપણો સમાવેસ તેમા થઈ શકે કે નહી ? મે પછી મહેસાણા જોડણી વાળા, પાલનપુર જોડણી વાળા અને પાટણ જોડણી વાળા વિષે પણ તપાસ કરાવી. પણ તેવા કોઈ નું અતિત્વ હોવા ના પુરાવા ના મળ્યા. પણ જો હું કોઈ એવા ગૃપમા ભળુ તો પણ તે બધા અંદરો-અંદર જગડે. કારણ કે હું કોઈ શબ્દને બંધનમા બાંધવા માં માનતો જ નથી. ક્યારેક કોઈ શબ્દ એક રિતે લખ્યો હોય તો ક્યારેક બીજી રિતે.. અને ક્યારેક તો એક જ શબ્દ એક જ વાક્યમા બે જુદી જુદી રીતે લખ્યો હોય. એટલે મારો સમાવેસ ક્યાં કરવો તે પણ એક ચર્ચાનો વિષય બની શકે તેમ છે.

શરૂ મા હું લખવા કરતા બોલવાનું પસંદ કરતો. કોઈ વિષય પરની ચર્ચામા મને બોલતા સાંભળી મારા ગુજરાતીના સરે મને ધરાર નિબંધ લેખન કરવા ફરજ પાડી. મારી જોડણીઓ જોય ને તેમને બે દીવસ સુધી ઉંઘ નહી આવી હોય. ત્યારનું નક્કી કર્યું હતુ કે જો વકૃત્વ અને નિબંધ લેખન બે હોય ત્યારે વકૃત્વમા ભાગ લેવો. બોલવામ જોડણી દોશના માર્ક નથી કપાતા.

પણ બ્લોગ લખવાની શરૂવત કરી ત્યારે આ મર્યાદા બહું નડી. શરૂ શરૂ મા તો બહુ લાંબુ ના લખતો પણ થોડુંક લંબાણ પુર્વક લખુ એટલે બહું બધી જોડણી ભુલો થાય. આભાર દેવાંશુંભાઈ જેવા સ્વજનો નો કે જેણે કાન ખેચી ને પણ મને સુધારવા પ્રયત્ન કર્યો બાકી મે તો નાહી જ નખ્યું હતું. આજે પોસ્ટ કરતી વખતે બહું ધ્યાન રાખૂ છું. છતા ઘણી ભુલો રહી જાય છે. ૨૦-૨૨ વર્ષની આદત એમ થોડી છુટે.

છતા પ્રયત્ન ચાલુ છે... જોયે ક્યાંરે હું સુધરૂ છું.

Sunday, October 4, 2009

ધાર્મીક અત્યાચાર

નવમું નોરતું હતું.. બધા રૂપાલ જવા માટે નિકળ્યા હતા. ત્યાં જ ભાઈનો ફોન આવ્યો. જલ્દીથી હોસ્પિટલ પહોચ ભાભીની તબીયત ખરાબ છે. હું જલ્દી ઘરે પહોચ્યો અને બાઈક લઈ સિધો સ્ટર્લીંગ હોસ્પિટલની વાટ પકડી. રસ્તામા ગુરૂકુળ પાસે સામે એક કહેવાતા "સંત" નું સરઘસ ભટકાણું.. રસ્તો બંધ હતો અને મારે ઉતાવળ હતી એટલે ફરી ને હોસ્પિટલ પહોચ્યો. ત્યાં પહોચીયા પછી ખબર પડી કે ઉતાવળમા અમુક વસ્તુ ઘરે રહી ગઈ છે. હું ફરી ત્યાથી નિકળ્યો ઘરે આવવા માટે. સેલ્સ ઇન્ડિયા થી વસ્ત્રાપુર લેક સુધી નો એક બાજુનો આખો રસ્તો પેલા લોકોએ રોકી લીધો હતો.. બધાને સાલ હોસ્પિટલ ફરીને જવા માટે મજબુર કરતા હતા.

મને મોડુ થતુ હોવાથી હું ત્યાંથી ભાગ્યો.. પણ વળતા મારા નસિબ ખરાબ. સરઘસે છેક વસ્ત્રાપુર લેક થી સંદેશ પ્રેસની બાજુ વાળો ઘોડા સરકલ સુધીનો આખો રસ્તો રોકી લીધો. અમને કહ્યુ કે તમારે એસ.જી હાઈ વે ફરી થલતેજ થઈ ને ડ્રાઇવ ઇન આવવાનું.. મારો પિત્તો ગયો. શું છે આ બધુ. ધરાર બાઈક વચ્ચે નાખી. એક ગાડી ને ઠોકી તેને રોકાવડાવી. રસ્તો ક્રોસ કરી સામેની બાજુ પહોચ્યો. ત્યાં એક ખાખી કપડાવાળો ડંડો પછાડતો મારી પાસે આવ્યો. તે મારી પાસે આવે તે પહેલા જ મે કહ્યુ કે નક્કિ તે આ લોકો પાસેથી પૈસા લીધા છે. હતો ત્યા ઉભી જા બાકી હમણા કમિશનરને ફોન કરૂ. પેલો પાછો જતો રહ્યો. હું નિકળ્યો તે બધા જોતા હતા પણ... કોઈ ની હિમંત ના થઈ રસ્તો ક્રોસ કરવાની.

રાત્રે સુતા પહેલા એક વિચાર આવ્યો. શું કોઈ ધર્મ કે સંપ્રદાયને લોકોની સગવડતા ના ભોગે પોતાના ધર્મ કે સંપ્રદાયનો પ્રચાર કરવાનો હક છે ? શું તે જે મુદ્દા પર લોકોને પોતાના તરફ ખેચે છે તે જ પાયાગત મુદ્દાઓ નો આમ ખુલ્લે આમ તમાસો કરતા સરમ નથી આવતી ? કદાચ આપણી દુર્બળતાનો આ લોકો ફાયદો ઉઠાવે છે.

હે ઇશ્વર તારા નામે ચરી ખાનાર તો જોયા હતા આ તો તારા નામે ઢિક પણ મારે છે.