Wednesday, December 31, 2008

નવુ વર્ષ-જુનુ વર્ષ.

નવુ વર્ષ-જુનુ વર્ષ.
અસંખ્ય સારી-નરસી બાબતો સાથે આજે જ્યારે આ વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને અપેક્ષાઓના ભાર સાથે મુંજવણ ભર્યા પગલે નવું વર્ષ આવી રહ્ય્ં છે ત્યારે આપણે એક અંજપા ભરી સ્થિતીમા ઉભા છીએ. જે રિતે "નામા"માં ચાલુ વર્ષની બાકી આગળ લઈ જવાય છે એમ ચાલુ વર્ષના જખમોની "બાકી" આવતા વર્ષ સુધી ખેચીયે છીએ ત્યારે એક પ્રશ્ન થાય કે એવું તો શુ કર્યુ કે વર્ષાંતે આ સ્થિતી આવીને ઉભી રહી.
વર્ષ ૨૦૦૮ની શરુવાત જ ખરાબ થઈ હતી, ૨૦૦૭ની અતિઅપેક્ષાના ભારણ સાથેના શેર બજાર ધબાય નમઃ થયું. પાવરે કાઈકના ફ્યુઝ ઉડાડી નાખ્યા અને પછીતો આ આખલા ઉપર રિંછ એવુતો ભારે પડ્યું કે જે ગતી એ માર્કેટ ઉપર ગયું હતુ તેની બમણી ગતી એ ભોય ભેગું થઈ ગયું. આપણા પુર્વજો કહેતા કે ચાદર કરતા પગ લાંબા કરવા નહીં પણ અહી તો પાસે રૂમાલ પણ ના હોય અને મખમલની રજાય ઓઢીને સુવાના સપના લોકો જોતા હતા. ચા ની કીટલી વાળા થી લઈ ને મોટા બીઝનેશમેન, પાનના ગલ્લા વાળાથી લઈને કોલેજના પ્રોફેસર સુધી બધા રાતો રાત કરોડપતી થવાના સપના જોવા મંડ્યાતા. બધાની સામુહિક અપેક્ષાના બોજ તળે શેરબજાર દબાય ગયું અને તેની સાથે શહીદ થયા કેટકેટલાના સપના. ૧ વર્ષ પહેલા શેરબજારનું નામ પડેતો કેટલાય તમારી પાસે આવી ને કોઈ જાણકારની જેમ ટીપ આપવા દોડી આવતું, અત્યારે એ જાણકારને શેરબજારના નામથી તાવ આવી જાય છે. ટુંકમાં કેટલા બધા પરીબળો ને લિધે બજાર તુટ્યું સાથે સાથે વર્ષની શરુવાત થઈ.
આ તો જાણે પનોતીની શરૂવાત હતી, એક પછી એક મુશ્કેલીઓ હજી બાકી હતી પેલા ફિલ્મનો ડાઈલોગ છે ને, "ફિલ્મ અભી બાકી હે મેરે દોસ્ત".
=ક્રમશ=

"ફ્લેશબેક"

મારો એક નિયમ છે,એક આખુ વર્ષ કોઈ એક જ લેખક ને વાંચવા (આ નિયમ પુસ્તક પુરતો જ સિમિત છે). આ નિયમ મને યાદ છે ત્યાં સુધી મે ૧૯૯૪ થી પાડ્યો છે. હું ધો.૯ માં હતો ત્યારે મેઘાણીનો "સૌરાષ્ટ્રની રસધાર" માથી એક પાઠ આવતો પછી તે આખુ વર્ષ મે મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્ની રસધાર અને સોરઠી બહારવટીયા વાચવામાં કાઢ્યું. પછીથી એ વણલખ્યો નિયમ થઈ ગયો. ૧૯૯૪ "મેઘાણી" ૧૯૯૫ "ધુમકેતુ",૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા",૧૯૯૭ "ગાંધીજી",૧૯૯૮-૯૯ "સ્વામી વિવેકાનન્દ",૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ",૨૦૦૧ "કાન્તિ ભટ્ટ", ૨૦૦૨-૦૩ "શાહબુદ્દીન રાઠોડ", ૨૦૦૪ "સૌરભ શાહ",૨૦૦૫-૦૬ "ચંદ્રકાન્ત બક્ષી",૨૦૦૭ "ગુણવંત શાહ".

તે પ્રમાણે વિતેલુ વર્ષ 'શ્રી વિનોદ ભટ્ટ'ના નામે લખેલુ હતુ. વિતેલ વર્ષમા મે તેમના "ઇદમ તૃતિયમ્","ઇદમ ચતુર્થમ્","નરોવા કુંજરોવા","ભુલચુક લેવિ-દેવિ","મગનું નામ મરી","આંખ આડા કાન","એવા રે અમે એવા" તથા "નમું તે હાસ્યબ્રહ્મને" વાચી.આ બધામા મને સૌથી "નમું તે હાસ્યબ્રહ્મને" વધુ ગમ્યું. એક ઉચ્ચકોટીનો હાસ્યલેખક બીજા ઉચ્ચકોટીના હાસ્યલેખકના લેખોનું સંપાદન કરે ત્યારે પંસદગીનું ધોરણ ઉચ્ચ હોવુ સહજ છે અને તે મારા જેવા વાચકને પસંદ ન પડે તો જ નવાઈ. આ પુસ્તકમા રતિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટના બહુ ઉચ્ચા દર્જાના લેખોનું વિભાગ વાર સંપાદન કર્યું છે.

કદાચ આવતા વર્ષે આ નિયમનો ભંગ થાય કારણ કે, અત્યારના સંજોગો એવા નથી કે મને પુસ્તકો લેવાની રજા આપે. જોવ છુ, કદાચ કાઈ રસ્તો મળે તો આવનાર વર્ષ મારે અંગ્રેજી માથી અનુવાદિત સાહિત્ય વાચવું છે. જોયે આગળ શું થાય છે.

Saturday, December 27, 2008

પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી


વર્ષ ૧૯૪૭ -


૧૭૮૮ - શહિદ, ૬૮૪ - ઘાયલવર્ષ


૧૯૬૫ -


૩૨૬૪ -શહિદ, ૮૬૨૩ - ઘાયલ


વર્ષ ૧૯૭૧ -


૩૮૪૩ - શહિદ, ૯૮૫૧ - ઘાયલ


વર્ષ ૧૯૯૯ -


૫૨૭ - શહિદ, ૧૩૬૩ - ઘાયલ


વર્ષ ૧૯૮૮ થી


૬૦,૦૦૦ મોત/શહિદ


કુલ ૬૯૪૨૨ શહિદી અને અસંખ્ય ઘાયલ-બંદી
તમને થસે આ આકડાની માયાજાળ શું છે તો તમને જણાવી દવ આ કોઈ સામાન્ય આકડા નથી આ છે અત્યાર સુધી પાકીસ્તાને લિધેલ ભોગના આકડા અને આ ફક્ત સરહદ કે કાશ્મિરના જ આકડા છે અને સરકારી આકડા છે આમા દેશમા બીજા પ્રાન્તમા થયેલ આતંકવાદી હુમલામા માર્યા ગયેલા કે પાકિસ્તાની જેલમા સબડતા સૈનિકોનો સમાવેસ થતો નથી.


હવે મુદ્દા પર આવુ, અત્યારે જે માહોલ છે તે જોતા નક્કિ કરી શકાય નહી કે યુદ્ધ થાસે કે નહી પરંતુ ઇતિહાસમા નજર ફેરવી એક વાતતો નક્કિ છે કે આપણે આટલો ભોગ આપ્યા પછી પણ ત્યા ના ત્યા જ છીએ. મને આપણા સૈનિકો પર પુરો ભરોષો છે પરંતુ જે યુદ્ધ આપણે સિમા પર જીતેલુ હોય એને ટેબલ પર હારી જાઈએ છીએ. જે પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી અને એ હવે પણ બદલવાની ના હોય તો બેતર છે યુદ્ધ ના થવુ જોઈએ. અને હા જો કોઇ નક્કર પરિણામ લાવવુ જ હોય તો પછી ભવિષ્યમા ક્યારેય આ શેતાન પાડોશી સાથે યુદ્ધ કરવુ ના પડે અને તે આપણી આગડી કરવાનુ હંમેશ માટે બંધ કરે તેવુ યુદ્ધ કરવું જોઈએ.


શુ કહો છો આપ સૌ ?

"ફ્લેશબેક" વિતેલા વર્ષનું શ્રેષ્ઠ વાંચન

વર્ષનો આ પડાવ એવો છે જ્યાં થોડી વાર થોભી પાછળ નજર કરવા જેવી છે. આ સમય જીવનને એવો અવસર આપે છે જ્યાથી આપણે વિતેલા વર્ષમા ઘટેલી સારી-માઠી બાબતો પર નજર નાખી શકો છો. માઠિ બાબતોને નજર સામે રાખી તેમાથી બોધ મેળવી અને સારી બાબતો માથી ઉર્જા પ્રાપ્ત કરી આવનાર નવવર્ષ ને જ્યારે સત્કારવા જઈ રહ્યા છીએ ત્યારે વિતેલ વર્ષમા મે વાચેલ અને મારા મતે જેને શ્રેષ્ઠ કહી શકાય તેવા વાચાન તમારી સમક્ષ મુકુ છુ.
શરૂવાત જય વસાવડાની સ્ક્રેપબુકમા કાલે જ વાચેલા અવતરણથી કરુ.
સાહિત્ય અને અખબારી લખાણ વચ્ચેફરક શું ?
કોઇએ વિખ્યાત નાટ્યકાર-લેખકઓસ્કાર વાઇલ્ડને પૂછ્યું,
જવાબમાં ઓસ્કાર વાઇલ્ડે કહ્યું :"અખબારી લખાણ વાંચી શકાતું નથી,
જ્યારે સાહિત્ય વંચાતું નથી....!!!!!!

મારા ઓર્કુટના હોમ પેઇજ પર આવેલ મેસેજ
Today's fortune: Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending

ધૈવતભાઈની વિસ્મય કોલમ તથા જય વસાવડાની સ્પેક્ટોમીટર ગયા વર્ષમા મને મળેલી અમુલ્ય ભેટ છે. તેમા ૨૩ નવે. નો સ્પેક્ટો. અને ૧૯ નવે. નો વિસ્મય મને ખરેખ ગમ્યો. મારૂ અંગત એવુ માનવુ છે કે જે વાચન "દિમાગ કિ બત્તિ જલાઈ" તેવુ જ વાચવુ બાકી જેમા 'ટપો' ના પડે તેનાથી દુર રહેવું. આ બન્ને લેખ તેવા જ છે, ધૈવતભાઈની વિસ્મય દરવખતે ખરેખર વિસ્મય જગાડે છે પરંતુ ઉપરોક્ત લેખમા તો ભારતીય રાજકારનમા જેને તમે એકહથ્થુ કહી શકાય તેવી સત્તા ભોગવનાર નહેરૂ-ગાંધી પરીવારની ન જાણેલી વાત જાણવા મળી. બીજી બાજુ જયભાઈનો ૨૩ નવે. વાળો લેખ વાંચી ને પહેલુ કામ ઈચ્છાઓ નું લિસ્ટ બનાવવાનું કર્યું.

મારા સાથી મિત્ર ભિષ્મકભાઈ ની પ્રોફાઈલમા વાંચેલુ આ લખાણા
" લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાચનાર બધુ સમજતા નથી સમજનાર બધુ વાઁચતા નથી.”

Saturday, December 20, 2008

"હેટ્સ ઓફ".


આજે એક રીલેટીવની બિમારીને લિધે અહી અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ફક્ત હુ જ નહી મારી સાથે મે જે પુર્વધારણા અને પુર્વગ્રહ બાંધેલા હતા તે પણ સિવિલ પહોચ્યા. ગંદા ગંધાતા રૂમો, કચરાના થર જામેલા કંપાઉન્ડ, જ્યા ત્યા પડેલા દર્દીઓ અને તેના સ્વજનો, પડુ-પડુ થતી છતો અને ચારે બાજુ અવ્યવસ્થા. આ મારી પુર્વધારણા હતી અને સિવિલમા પી.એમ. સિવાય જવાય જ નહી તે મારો પુર્વગ્રહ. ત્યાં પહોચતા જ પુર્વધારણા અને પુર્વગ્રહ થોડા અંશે સાચો પણ લાગ્યો, જ્યા ત્યા પડેલો કચરો, બદબુ મારતુ પરીસર, આમ તેમ પડેલા દર્દી અને તેના સ્વજનો, પડુ-પડુ થતી ઇમારત.
અચાનક એવી ઘટના બની કે મારો દ્રષ્ટીકોણ જ બદલાઈ ગયો. જેને જોવા ગયો હતો તેને એટેક આવ્યો અને પછીની ૩-૪ કલાકમા મારૂ આખુ માનશ પરિવર્તન થઈ ગયું. ૩થી૪ મીનીટમા ડૉક્ટરોની આખી ટીમ આવી ગઈ અને એક નર્સ પોતે ઓક્સિજનનો બાટલો (સિલીન્ડર) ટ્રોલી ન હોવાથી ઉપાડીને લાવી. બધા જ ડૉક્ટરો મોબાઈલ વડે એક બીજાની જોડે સંપર્કમા રહ્યા. ત્યા કોરા લેટરપેડ ન હતા દવા લખવા માટે અને લેબોરેટરી માટે છાપાના કાગળનૉ ઉપયોગ થતો હતો. ધીરે-ધીરે મારો દ્રષ્ટીકોણ બદલાયો આખી સિવિલ તો જોઈ ના શક્યો પરંતુ જેટલુ ફર્યો તે બધામા આવુ જ જોવા મળ્યું અને દિલમા થયુ ખરેખર આ લોકોની કાર્યદક્ષતાને સલામ છે. આટલા લિમીટેડ રિસોર્સીઝથી ૧૦૦% આઉટપુટ આપવુ એ નાની સુની વાત નથી અને આપણ તેને વગોવીયે છીયે. કોઈ દિવસ વિચાર નહી આવ્યો હોય કે આ લોકો કેવી રીતે કામ કરે છે. મે તો કોઈ દિવસ વિચાર કર્યો જ નહતો. પ્રાઈવેટ હોસ્પિટલો આટલા રૂપિયા લેવા છતા ૧૦૦% સંતોષ આપી સકતા નથી ત્યારે આ લોકોને આ રીતે કામ કરતા જોઈ એક જ વાક્ય સુજ્યું "હેટ્સ ઓફ".
તમે શું માનો છો ?

Wednesday, December 10, 2008

જ્યા સુધી તમારી આતંરિક સુરક્ષા શું સજ્જ ન હોય ત્યાં સુધી આવી ઘટના બનતી જ રહેશે. તમારે ભારતના નાગરીક બનવા માટે કેટલા રૂપીયા ખર્ચવા પડે ? માત્ર ૫૦૦, રૂ.૧૦૦ થી ૧૫૦ મા તમારૂ નવું કુપન (રાસન કાર્ડ) બની જાય (રૂ.૨૦ નો સ્ટેમ્પ,રૂ.૨૦ ટાઈપિસ્ટને,રૂ.૧૦ થી લઈ રૂ.૧૦૦ સુધી ચા પાણી). એજ રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, જે બનાવવું હોય એ બને અને આ બધી પ્રોસીજર મે જાતે જોયેલી છે. આ બધા મોટા બોકારાઓ પહેલા પુરવા રહ્યા પરંતુ આ કામ કરે કોણ ? અને આ જ બોકારાનો ફાયદો આ હરામી લોકો લે છે.આપ શું માનો છો ?=સમાપ્ત=

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ.

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ. બધી જ સમ્યાનું મુળ આ એક વાક્યમાં કહી શકાય. તે પછી રાજકર્તા હોય, બુધ્ધીજીવિઓ હોય કે પછી સામાન્ય નાગરીક હોય બધા માટે લાગુ પડે છે. રાજકર્તા ને સુધરવું નથી અને આપણે એને સુધારતા નથી અને પાછળથી કહેશું આ દેશ કોઈ દિવસ સુધરસે નહી. આપણી પાસે બધાજ હથીયારો છે પરંતુ તેનો ઉપયોગ કોને કરવો છે ? કેટલા લોકો રેગ્યુલર વોટ આપે છે ? કેટલા લોકોએ માહીતિના અધીકારનો ઉપયોગ કરિ પોતાના વિસ્તારમા થતા કામની વિગત માગી છે ? શુ આ બધી આમ જનતાની ફરજ નથી ? સંસદ ઉપર હુમલો થયો ત્યારે આવિ જ પરિસ્થિતી હતી, શું થયું ? એનો આરોપી જેલમાં મજા કરે છે અને આપણે આપણા રૂમમાં. બોમ્બ બ્લાસ્ટ અને આવા આતંકવાદી હમલાથી જેના સ્વજન મરે છે એના સિવાય કોઇ ને કાઈ ફરક નથી પડતો અને મરનારના સ્વજન પણ થોડા ટાઈમમા પોતાની નોર્મલ જિંદગી જીવવા મંડે છે જેમ રાજકોટ બગોદરા હાઈવે પર અક્સમાત સામાન્ય છે એમ આ આતંકવાદ પણ આપણા માટે સામાન્ય છે.=૧=

Wednesday, December 3, 2008


આજની કળશ હાથમાં આવી, બધાજ પાના આતંકવાદ પર ભરી ભરી ને લખાયુ હતું. બધું જ વાચવુ શક્ય ન હતુ અને જરુરી પણ ન હતું કારણ બધા ને ખબર છે. ઈઝરાઈલ ની જે વાત ધૈવતભાઈએ કરી તે પછી માથુ ખંજવાડતા વિચાર આવ્યો કે શું આવું ભારતમાં શક્ય છે ? આ પ્રશ્નની પાછળ બીજા ઘણા પ્રશ્નો ઉભા થયા, ૧.શું આપણી વર્તમાન પરિસ્થિતી માટે આપણે પોતે જવાબદાર નથી ? ૨.આપણા વર્તમાન રાજકર્તા આ પરિસ્થિતીને પહોચી વળવા શક્ષમ છે ?આપણા શાસ્ત્રોમા કહેવાયું છે કે દુર્જનની સક્રિયતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા વધુ ખતરનાખ છે, અત્યારે આ આપણી નિષ્ક્રિયતા નું પરિણામ છે અને હજી ન જાગ્યા તો હજી ખરાબ પરિણામ માટેની તૈયારી રાખવી પડશે. જે દેશમાં નાગરીકની ઇચ્છાશક્તિ જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી રાજકિય ઇચ્છાશક્તિની અપેક્ષા રાખવી નકામી છે.આપ શું ક્યો છે ?