Showing posts with label મીડીયા. Show all posts
Showing posts with label મીડીયા. Show all posts

Sunday, September 25, 2011

ઘટનાઓની આસપાસ…

છેલ્લો મહીનો ઘટના-દુર્ઘટનાઓ થી ભરેલો રહ્યો છે . લગભગ દરેક વિચારી શકતી વ્યક્તિ ને વિચારતી કરી મુકે તેટલી ઘટનાઓ બની છે. આમ તો જે તે ઘટનાઓ બની તે દરેક ઘટનાઓ ની વિષેસ છણાવટ વિવિધ માધ્યમો મા થયેલી છે પણ હુ મારી જાતને આ બધા વિષયો ઉપર લખતા રોકી શકતો નથી. ચાર પાંચ અલગ અલગ પોસ્ટ સહન ના કરવી પડે એટલે એક જ પોસ્ટમા આ બધી બાબતો ઉપર હું મારૂ “એક્સપર્ટ” કિ-બોર્ડ ચલાવું છું. ઇશ્વર આપને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આ પોસ્ટની શરૂવાત કરૂ છું.

લગભગ ગયા મહિના ના અંતમાં એક ઘટના એવી બની કે જેની નોંધ તો લેવાણી પણ તેની દુરગામી અસરો વિષે ગભિરતા થી વિચાર ના થયો. રાજીવ ગાધી ના હત્યારાઓ ની ફાંસી વિધાનસભા માં પ્રસ્તાવ પસાર કરી રોકવા માં આવી. વાત ૧૦૦ % વ્યાજબી જ છે અને કાયદો પણ કહે છે કે એક જ ગુના ની બે વખત સજા ના હોય. ૧૫-૧૭-૨૦ વર્ષ જેઇલ મા રહ્યા એટલે લગભગ એક જન્મટીપ ની સજા ભોગવી જ લીધી ગણાય અને હવે ફાસી ? ભારત દેશ માં સૌથી ખરાબ ચીજ કોઈ હોય તો તે છે રાજકારણ અને રાજકારણીઓ . પોતાના નિજી સ્વાર્થ માટે આ લોકો દેશનુ ગમે તેટલું ખરાબ કરી શકે છે. અહી આ ઘટના ભવિષ્યમાં જો રાજકીય સ્વાર્થ માટે નું હથીયાર બની જાશે તો શું થાશે તે તો વિચારો ? કલમાડી-રાજા-કનિમોઝી વગેરે ૧-૨ વર્ષ પછી આવી જ કોઈ ચાવીનો ઉપયોગ કરી છુટી જાશે . કારણ કે તેણે કરેલ ગુના ની હાલ ના તબક્કે તો મહત્તમ કોઈ સજા નિશ્ચિત જ નથી. કસાબ-અફઝલ ગુરૂ જેવા ત્રાસવાદીઓ સિફ્ત પુર્વક છટકી જાશે. મારી જાણકારી સાચી હોય તો તા.૨૮ ના રોજ કાશ્મીર વિધાનસભામા આવા મતલબનો કોઈ પ્રસ્તાવ પસાર થવાનો છે. કાયદાની ધીમી ગતી રાજકીય હથીયાર બની દેશની આંતરીક શુરક્ષા સામે કેટલો મોટો પડકાર બની જાશે તે નો ગંભિરતા થી વ્યાપક વિચાર કરવો જોઈએ. અહી વાત ઉદાહરણ પુરૂ પાડવાની છે ત્રાસવાદીઓ ફફડે તેવુ કોઈ ઉદાહરણ તો પુરૂ પાડી શકતા નથી ત્યારે આવો “માનવીય” અભિગમ શું સદેશ આપે છે ?

વર્ષ ૨૦૦૯ માં લગભગ એક મહીના માટે ઉત્તર ભારતના પાંચ મુખ્ય રાજ્યોના મુખ્ય શહેરોમા થોડો થોડો સમય રહેવા ની તક મળી હતી. રસ્તા, બ્યુરોકશી, લાઈટ-પાણી વિતરણ વગેરે વિષે પ્રાથમીક ચર્ચા માં જ સામેની વ્યક્તિ “આપ તો ગુજરાત મે રહેતો હો વહા તો મોદી હૈ “ આવો સહજ જવાબ આપી હથીયાર હેઠે મુકી દે. લગભગ દરેક શહેરમાં ઘર હોય કે ઓફીસ બધે જ પ્રાઇવેટ લાઈટ પ્રોડકશન સંશાધનો જોવા મળ્યા. દિવસના ચાર-છ કલાક તો પોતાની ખપ પુરતી વિજળી પોતે જ ઉત્પન કરવી તેવો વણ લખ્યો નિયમ કેમ ના હોય. અહી મોદી ભક્તિ કે બીજુ કાઈ કરવાનો પ્રયાસ નથી. ગુજરાતમાં પણ હજી ઘણુ કરવાનુ બાકી છે અને ઘણૂ ખોટુ પણ થાય છે . પણ જે થયુ છે તેનો યોગ્ય શ્રેય યોગ્ય વ્યક્તિને આપવો જોઇએ તેવું મારૂ માનવું છે . કાશ્મીરમાં રાજ્યની બહુમત્તી પ્રજા મુસ્લીમ ધર્મ પાળે છે જે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી માં છે, કાશ્મીરમાં નિતી વિષયક નિર્ણયો મુખ્યત્વે આ બહુમતી પ્રજાએ ધ્યાનમાં રાખીને જ લેવાતો આવ્યો છે અને તેમા મુખ્યત્વે રાજ્યની બીજી લઘુમતી પ્રજાને અન્યાય થતો આવ્યો છે. નકશામાં તેનાથી થોડુક નીચે આવ્યે તો પંજાબ મા શિખ સંપ્રદાય બહુમતીમાં છે જે સરકારી ચોપડે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી છે. અહી નિર્ણયો મોટાભાગે શિરોમણી ગુરૂદ્રારા વ્યવસ્થા પ્રંબધક(SGVP) રાજી રહે તે રીતે જ લેવાતા હોય છે. સાઉથમા કેરલ એવું રાજ્ય છે જ્યાં ઇસાઇ ધર્મ પાળતા નાગરીકો બહુમત્તીમાં છે. દેશના ત્રણ મુખ્ય લઘુમતી ધર્મો પાડતા લોકો જ્યા જ્યાં બહુમતીમાં છે ત્યાં નિતીવિષયક નિર્ણયો તે રાજી રહે તે રીતે લેવાય છે. કહેવાતા બૌધીકો-સિક્યુલર ધ્વજ રકક્ષોને મારી નમ્ર અરજ છે કે સાહેબ તમારી દુકાનની એકાદ શાખા તો ત્યાં જઈ ખોલો. મહારાષ્ટ્રમાં મરાઠી આનુસ, રાજસ્તાનમાં જાટ-મીણા વગેરે જાતીનું તૃષ્ટીકરણ થતુ હોય ત્યારે કેમ આ બધા લલ્લુ પજુઓ ચુપ બેસે છે. ટોપી પહેરે તો મુસ્લીમ તૃષ્ટીકરણ અને ના પહેરે તો મુસ્લીમ ધર્મનું અપમાન . ખર્ચો ખોટો અને મોટો થયો જ છે તેમા શંકા નથી પણ છાપાવાળાઓ તમે પહેલા પાને ખર્ચાઓ વિષે છાપો છો અને અંદરના પાને આખા પેઇજ ની જાહેર ખબર . તમને જો રાજ્યના લોકોની આટલી જ ચિંતા હતી તો નૈતિક રીતે તમારે તે જાહેર ખબર છાપવાની ના પાડી દેવી હતી ને. લાખો રૂપિયા જોય લાળ પડતી હોય તે લોકો નૈતિકતા વિષે બોલે ત્યારે થોડુ અજુકતુ લાગે છે. વિરોધ કરવા માટે પણ લાયકાત જોઇએ.

આ બધી રામાયણ ચાલતી હતી ત્યારે જ પુર્વ-ભારતઆં જોરદાર ભુકપ આવ્યો . આમ તો સામાન્ય વ્યક્તિ માટે આ પ્રદેશનું નામ આવે ત્યારે GK તળીયે બેસી જતુ હોય છે. પહેલા તો રાજ્યોના નામ જ ના ખબર હોય તો પછી તેના પાટનગર અને ત્યાંની સંસ્કૃતી વિષે તો પુછવાનો પ્રશ્ન જ ક્યાં આવે . દેશના બીજા કોઈ ભાગમાં આવડી મોટી કુદરતી આફત આવી હોત તો મીડીયા પોતાની બહાદુરી બતાવવાની હરીફાઈ પર ઉતરી જાત. “ચંદુ… ચંદુ… ક્યા તુમ મેરી આવાઝ સુન શકતે હો ?” “હા, મનુ આપકી આવાઝ આ રહી હૈ.”. “તો બતાઓ વહા માહોલ કૈસા હૈ ?” “મનુ યહા હર તરફ મલબા હી મલબા દીખાય દેતા હૈ, અબ તક યહા સરકાર કી ઓર સે કોઈ રાહત ઓર બચાવ કા કાર્ય આરંભ નહી હુઆ એ.. યહા મલબે મૈ એક આદમી ફસા પડા હૈ હમ ઉનસે હી પુછ લેતે હૈ,” “ભાઈ સાબ આપકા ક્યા નામ હૈ ?” “તેરી બીપ બીપ બીપ બીપ બીપ મુજે યહા સે બહાર નિકાલ ફીર તુજકો મેરા નામ બતાતા હું” “માફ કીજીયેગા ચંદુ સે સંપર્ક ટૂટ ગયા.” . આજકાલ દરેક સમાચારની માર્કેટ વલ્યુ નક્કી થાય છે ત્યારે અર્ધ વિકસીત પછાત એવા પ્રદેશોની પુરતી વેદના લોકો સુધી ના પહોચે તેમા કોઈ નવાય નથી.

છેલ્લે છેલ્લે બે એવા પ્રસંગો બન્યા જેણે વર્તમાન સરકારની વધી-ઘટી આબરૂ પણ ખંખેરી નાખી… આયોજનપંચ નું કાર્ય આજ સુધી તો મને સમજમાં જ નથી આવ્યું. ભણતા ત્યારે પહેલી-બીજી-ત્રીજી યોજનાઓ અને તેના ટારગેટ(લક્ષ્યાંકો) અને જેતે ટારગેટની સમીક્ષા આવતી. ધુળ બરોબર કોઈ વાર એવું વાંચ્યુ હોય કે જે તે લક્ષ્યાંક પુરા થયા હોય. ૧૦૦ મીટરની દોડ ૧૦ સેકન્ડ માં પુરી કરવાનો ટારગેટ હોય અને પહેલી ટ્રાઇ માં ૧૧ સેકન્ડ લાગી હોય તો સામાન્ય માણસ પણ સમજી શકે કે આપણે થોડુ વધુ ઝડપી દોડવું પડશે. અહી આવું કોઈ જ જાતનું આયોજન નહી છતા આયોજન પંચ. તેમા તો ગરીબની વ્યાખ્યા કરી બુદ્ધીનુ પ્રદર્શન જ કર્યું. છેક ૯ માં ધોરણમાં હતા ત્યારે આકડાશાસ્ત્રના સાહેબે સમજાવેલુ, “સજીવ ગણની સરાસરી કે મધ્યક (એવરેજ) કાઢવાનો હોય અને પરીણામ અપુર્ણાંકમાં આવે તો નજીકની પુર્ણાંક સખ્યા લેવી.” ઉદા તરીકે સમજાવેલું ગામમાં પશુપાલક પાસે બકરાઓ નો મધ્યક શોધવાનો હોય અને જવાબ ૪.૭૯ આવે તો જવાબ ૫.૦૦ લખવાનો. કેમ કે .૭૯ બકરામાં તેના ક્યાં ક્યાં અંગ ગાયબ છે તે કેમ સાબીત કરવું. આવડી અમસ્તી વાત આ લોકોને કોણ સાજાવે ? લાગે છે કે આવું જ ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં પેલા બન્ટાસીંગ અને છન્નાસીગ ભેગુ એક નવું નામ મોન્ટેંકસીંગ પણ જોક્સમાં પ્રચલીત થાશે.

પ્રણવ મુખર્જી મોસ્ટ સીનીયર પ્રધાન ગણાય. તેઓ કાઈક કહેતા હોય તેનુ વજન પડવું જ જોઇએ. પણ શીવરાજ પાટીલને પણ સારા કહેડાવે તેવા આપણા(UPA ચેરપર્શનના) ગૃહમંત્રીની લુંગી બચાવવા આખી સરકાર સામે પડી ગઈ. પેલા ખુર્શીદ મીયા કહે છે કે તેઓ નિર્દોષ છે યાર તે કામ તપાસ એજીન્સી અને કોર્ટને કરવા દ્યો ને. બીજુ પ્રણવદા અને ચિંદમ્બરમ બન્ને માથી એક ખોટા છે તે પણ સાબીત થઈ ગયું. આવી પરિસ્થિતીમા વડાપ્રધાનની હાલત ના પાડે તો નાક કપાય અને હા પાડે તો માથુ તેવી થઈ ગઈ. આમ તો હવે તેઓ આ બધા ના આદી થઈ ગયા છે છતા નાક કપાવી હાલ પુરતુ માથુ બચાવી લીધુ છે .

-: સીલી પોઇન્ટ :-

ઉપરોક્ત દરેક ઘટના વખતે મીડીયાએ વધતુ ઓછુ મોણ નાખી સમાચાર લોકો સુધી પહોચાડ્યા. હવે તો દર્શકો પણ સમજી ગયા છે કે મીડીયા ૧૦૦ બતાવે ત્યારે ૧૦ સાચુ હોય અને ખાલી ૧ જ કામનુ હોય. તેમ છતા આ લોકો ૧ ના ૧૦૦ કરતા જ રહે છે

નોંધ :- આ પોસ્ટ ૨૪-૯ ના સવારે લખાયેલી છે અનિવાર્ય સજોગોને લીધે પબ્લીશ નો હતો કરી શક્યો. આજે દિવસ ભર પોસ્ટ સાથે સકળાયેલી બાબતોના સ્ટેટસ-નોટ્સ મીત્રો દ્રારા મુકવામા આવ્યા છે તે માત્ર સંજોગ જ છે. છતા કોઈ ને એવુ લાગે તો મને જણાવશો આ પોસ્ટ સાથે હું જે તે વ્યક્તિને ક્રેડીટ આપીશ.